લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
કઈ રીતે શાંતિલાલ પટેલ બન્યા પ્રમુખ સ્વામી મહારાજ, જાણો 98 મી જન્મજયંતિ પર જાણી-અજાણી વાતો
બોચાસણવાસી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા(બીએપીએસ)ના વડા પ્રમુખ સ્વામી મહારાજની 98મી જન્મજયંતિ છે.
ત્યારે આવો તેમની જન્મજયંતિ એ તેમના જીવન સાથે જોડાયેલી જાણી-અજાણી વાતો અંગે જાણીએ. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો.
પિતા મોતીભાઈ, માતા દિવાળીબા. ખેતી અને પ્રભુભક્તિ સિવાય આ પરિવારને જીવનનું બીજુ કોઈ વિશિષ્ટ પાસું ન હતું. શાંતિલાલ સ્વભાવે શાંત પણ શિસ્તબદ્ધ, સમયપાલન સાથે ભણવામાં હોંશિયાર હતા. ઈતિહાસ અને ગણિત એમના પ્રિય વિષયો હતાં.
એકથી પાંચ ધોરણ તેમના ગામમાં ભણ્યાં બાદ તેમણે છઠ્ઠા ધોરણ માટે પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો.
શાંતિલાલ ઘરેથી ક્રિકેટનો સરંજામ લેવા વડોદરા જવા નીકળ્યા. રસ્તામાં ભાઈલા ગામના રાવજીભાઈએ કહ્યું કે ગુરુ શાસ્ત્રીજી મહારાજે તમારા માટે ચીઠ્ઠી આપી છે.
અઢાર વર્ષના યુવાન શાન્તીભાઈએ કવર ખોલી ચીઠ્ઠી વાંચી. તો તેમાં લખ્યું હતું. ‘સાધુ થવા આવી જાઓ’. શાંતિભાઈ વડોદરા જવાને બદલે પાછા ઘેર આવી, માતા-પિતાને ચીઠ્ઠી બતાવી ને કહ્યું રાવજીભાઈના ભાઈલી ગામે મારે સત્સંગ માટે વિચરતા સાધુ નીલકંઠ સ્વામી અને ઘનશ્યામ સ્વામીને મળવા જવાનું ગુરુ શાસ્ત્રીજી મહારાજે કહ્યું છે.
આ હરિભક્ત કુટુંબે આ પળને જીવનની ધન્ય પળ ગણી હસ્તે મુખે, કોઈ ચહલ પહલ વગર, ગૃહત્યાગ માટે શાંતિભાઈને વિદાય દીધી એ દિવસ હતો 22-11-1939 ના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના ભકતરાજ શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી. 10-1-1940 ના રોજ ગોંડલમાં ભાગવતી દીક્ષા આપવામાં આવી. ત્યારબાદ તેમનું નામ પડયું નારાયણસ્વરૂપ દાસ સ્વામી.
પેટલાદની સંસ્કૃત પાઠશાળામાં પંડિતો પાસે સંસ્કૃત અભ્યાસમાં લાગી ગયા. અભ્યાસમાં શાસ્ત્રી સુધીનો અભ્યાસ કરીને તેઓ શાસ્ત્રી નારાયણસ્વરુપદાસજી બન્યા વર્ષ 1950 માં શાસ્ત્રીજી મહારાજે દીર્ઘદ્રષ્ટિથી સ્થાપેલી વિકસતી ધર્મસંસ્થા અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે તેઓને નિયુકત કર્યા.
ત્યારથી તેઓને પ્રમુખ સ્વામીના હુલામણાં નામથી ઓળખવામાં આવે છે. યુનોની ધર્મસંસદમાં ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ પ્રવચન કરી તેમણે ગુજરાતી ભાષાને ગૌરવ આપ્યું છે. BAPS તરીકે ઓળખાતી બોચાસણ અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના આદ્ય સંસ્થાપક સાધુયજ્ઞપુરુષ દાસજી એટલે કે શાસ્ત્રી મહારાજ હતા તેમણે ઈ.સ. 1946-માં આ યુવાન સ્વામીને 28 વર્ષની ઉમરે સારંગપુર મંદિરમાં કોઠારી સ્વામી તરીકે નિમ્યા.
અધ્યાત્મની કેડી અળપાતી ગઈ, ગુરુની કૃપા નારાયણ સ્વરૂપદાસજીમાં ઉતરતી ગઈ. શાસ્ત્રી સ્વામી મહારાજની અંતરની આંખોએ અંદેશ આપી દીધો હતો કે ખરેખર આ નારાયણ સ્વરૂપદાસજી નારાયણ સ્વરૂપ છે અને તેમાં જનજનને જગ્દિશ બનાવવાની ધગશ છે.
બીજી બાજુ નારાયણ સ્વરૂપજી તો ગુરુની આજ્ઞાને સર્વોપરિ માની અને ધર્મના પ્રસાર અર્થે વિચરણ કરતાં કરતાં લોકસેવામાં જોડાતા ગયા.
શાસ્ત્રીજી મહારાજનો એક વિચાર BAPS શાખા માટે નહીં પણ જગતભર માટે એક નવો આયામ ઉભો કરનાર નીકળશે, તે તો ભવિષ્યના ગર્ભમાં રહેનારી ઘટના હતી. પણ 21-05-1950 ના દિવસે શાસ્ત્રીજી મહારાજે કદાચ એવા ભવ્યોદાત્ત ભવિષ્યને જોઈને જ આ નારાયણસ્વરૂપદાસજી મહારાજને BAPS ના પ્રમુખ પદે નિયુક્ત કર્યા. તેમની સાથેના યોગીજી મહારાજની પણ પ્રસન્નતા જોડાયેલી હોવાથી તેમણે પ્રમુખ સ્વામીજી મહારાજનો 48 મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવ્યો હતો.
આમ નારાયણ સ્વરૂપદાસજીનું ફરી એક નવું સ્વરૂપ સહજ રીતે જ સામે આવ્યું તે ‘પ્રમુખ સ્વામી મહારાજ’ નું. પછી BAPS શાખાના પ્રમુખપદેથી ધાર્મિક, સામાજિક અને આરોગ્યલક્ષી અને સર્વાંગી વિકાસ સાધવામાં પ્રમુખ સ્વામીએ અનેક યોજનાઓ ભગવાન આજ્ઞા માનીને શરૂ કરાવી હતી.
ગુરુપૂર્ણિમાનો પ્રમુખ સ્વામી મહારાજ અને તેમના ગુરૂ શાસ્ત્રીજી મહારાજ વચ્ચેનો જાણિતો કિસ્સો છે. શાસ્ત્રીજી તેમના નારણ’દાને યાદ કરે છે તેવું માલૂમ થતા જ પ્રમુખ સ્વામી મહારાજ મૂશળધાર વરસાદમાં ટ્રેનના ડબા પર લટકીને ગુરુજીને મળવા સાળંગપુર પહોંચ્યા હતા.
શાસ્ત્રીજી સાળંગપુરમાં માંદગીની સારવાર લઈ રહ્યા હતા ત્યારે નારણ’દાને યાદ કર્યા છેલ્લે બોલ્યા કે, તે આવીને ભક્તચિંતામણિ સંભળાવે તો સારું થઈ જાય. આ વાતની જાણ થતા તેમણે મનોમન નક્કી કરી લીધું કે ગમે તે થાય મારે ગુરુજી પાસે પહોંચવું છે.
પ્રમુખસ્વામી મહારાજનું દીક્ષિત નામ નારાયણ સ્વરૂપદાસજી હતું. અમદાવાદમાં આવેલી શાહપુર આંબલીની પોળમાં પ્રાચીન સ્વામીનારાયણ મંદિર જે યજ્ઞપરષ પોળ તરીકે પણ ઓળખાય છે ત્યાં માત્ર 28 વર્ષની વયે 1950 ની જેઠ સુદ પાંચમના દિવસે શાસ્ત્રી મહારાજની નિશ્રામાં યોજાયેલા કાર્યક્રમમાં તેમને પ્રમુખની પદવી સોંપવામાં આવી હતી.
નાની ઉંમરથી જ તેમનામાં રહેલી દિવ્યતાની અનુભૂતિ શાસ્ત્રી મહારાજને થઈ હતી અને ત્યારે તેમણે કહ્યું હતું કે, આ સંસ્થાના પાયા હવે હું પાતાળમાં રોપી રહ્યો છું. તે સમયે ઉપસ્થિત સત્સંગીઓ તેમનો આ ગુઢ રહસ્ય સમજી શક્યા ન હતા.
જાણો વિનુભાઈ પટેલ કેવી રીતે બન્યા મહંત સ્વામી…
પ્રમુખ સ્વામીએ સમયસર તેમના ઉત્તરાધિકારી તરીકે મહંત સ્વામીને નીમી દીધેલા. 13-9-1933 ના રોજ જન્મેલા મહંત સ્વામીનું સંસારી નામ વિનુ પટેલ હતું. સાધુ તરીકે તેમનું નામ કેશવજીવણદાસ રખાયું હતું.
સ્વામીનારાયણની સંસ્થા જે ટૂંકમા BAPS તરીકે ઓળખાય છે તેના જગતભરમાં 713 મંદિરો છે. મહંત સ્વામી આજે પ્રમુખ સ્વામી પછી છઠ્ઠા સ્પિરિચ્યુઅલ નેતા છે. ગુરુ પરંપરા રીતે ચાલી આવે છે: (1) ગુણાતીતાનંદ સ્વામી (2) ભગતજી મહારાજ (3) શાસ્ત્રીજી મહારાજ (4) યોગીજી મહારાજ (5) પ્રમુખ સ્વામી મહારાજ (6) અને હવે મહંત સ્વામી
નવાઈની વાત છે કે પ્રમુખ સ્વામીએ સાળંગપુરમાં બચપણ વિતાવેલું ત્યારે નવા મહંત સ્વામી મધ્ય પ્રદેશના ગામ જબલપુરમાં ઉછરેલા. 1961 ની સાલમાં આજથી 55 વર્ષ પહેલાં મહંત સ્વામીને યોગીજી મહારાજે દીક્ષા આપેલી. પછી સતત પંચાવન વર્ષ નિષ્ઠાપૂર્વક વિવિધ મંદિરોમાં સેવા કરતા રહ્યા. તેમની સેવાથી પ્રભાવિત થઈ 2012 માં પ્રમુખ સ્વામીએ તેમને પોતાના પદના ઉત્તરાધિકારી નીમ્યા. મહંત સ્વામીના સંસારી પિતાનું નામ મણીભાઈ નારણભાઈ પટેલ અને માતાનું નામ ડાહીબહેન પટેલ હતું. બન્ને પતિ-પત્ની શાસ્ત્રીજી મહારાજના ચુસ્ત શિષ્યો હતા. નવાઈની વાત છે કે શાસ્ત્રીજી મહારાજે મહંત સ્વામીના જન્મ પછી તુરંત તેમના મા-બાપના ઘરે મુલાકાત લઈ પ્રથમ તેમનું ફેમીલી નામ કેશવ રાખેલું.
સંસારી વિનુભાઈ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના જન્મ સ્થળે જબલપુરમાં પૂરું ર્ક્યુ. પછી જબલપુરમાં મેટ્રીક પાસ થઈ તેઓ ત્યાંની ક્રિશ્ચિયન સ્કૂલમાં દાખલ થયા. કૃષિ કોલેજ હતી અને આણંદમાં હતી. તમને નવાઈ લાગશે કે મહંત સ્વામી ખેતીવાડીની કોલેજના ગ્રેજ્યુએટ છે! વિનુભાઈ પટેલ કોલેજમાં હતા ત્યારે 1951-1952 માં યોગીજી મહારાજને મળ્યા. તેનાથી પ્રભાવિત થઈને ઉનાળાના વેકેશનોમાં યોગીજી મહારાજ પાસે જતા. અને ત્યારે તેમને સાધુ જીવન ગાળવાની પ્રેરણા મળી.
24 ની ઉંમરે વિનુભાઈ પટેલ ઉર્ફે મહંત સ્વામીને (પાર્શ્વદ) દીક્ષા મળી. શરૂમાં તેમનું નામ વિનુ ભગત રખાયું હતુ. યોગીજી મહારાજ જ્યારે પ્રવાસ કરતા ત્યારે વિનુ ભગત સાથે સાથે સેવામાં હાજર રહેતા. તેમનો પત્રવ્યવહાર સંભાળતા. 28 ની ઉંમરે પછી તેમને ‘સ્વામી’ તરીકેની દીક્ષાં ગઢડામાં મળી. અને ત્યારે તેમને સાધુ તરીકે કેશવજીવનદાસનું નામ મળ્યું. તે દિવસે 51 સેવકોને પણ દીક્ષા મળેલી. બધાને મુંબઈના સંસ્કૃતનો અભ્યાસ કરવા રખાયા અને તેમના 51 ના ગ્રુપ લીડર દાદરમાં મહંત સ્વામી ઉર્ફે કેશવજીવનદાસ હતા. 1951 માં મહંત સ્વામી, પ્રમુખ સ્વામીને મળ્યા. અને તેમની સાથે દેશ પરદેશમાં ધાર્મિક પ્રવાસ ર્ક્યો. મહંત સ્વામીની સેવાભાવનાથી પ્રભાવિત થઈ પ્રમુખ સ્વામીએ બીજા સીનીયર સાધુઓની અમદાવાદની હાજરીમાં 20-7-2012 માં તેમનું નામ સાધુ તરીકેનું નામ મહંત સ્વામી રાખી દીક્ષા આપી. અને ત્યારે પ્રમુખ સ્વામીએ ચાર વર્ષ પહેલા સમયસર મહંત સ્વામીને પોતાના ઉત્તરાધિકારી નીમ્યા હતા.
સૌ પ્રથમ મહંત સ્વામીએ આજના યુવાનોને પ્રેરણાત્મક સંદેશો આપ્યો. મહંત સ્વામીએ યુવાનોને ચીમકી આપી કે તમને વેકેશન પડે એટલે થીમ પાર્કમાં કે બીજા આનંદ પ્રમોદમાં સમય વેડફવો નહીં. તે પછી જ્યારે અટલાન્ટા (અમેરિકા) માં 8000 જેટલી સંખ્યામાં સ્વામીનારાયણ પંથના યુવાનો ભેગા થયા તે અમેરિકામાં હિન્દુઓનું મોટામાં મોટું ગેધરીંગ હતું. 3200 જેટલી હાઈસ્કૂલ અને કોલેજોના યુવાનો આવ્યા હતા. યુવાનોને મહંત સ્વામીએ જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને ધર્મનો સંદેશ આપ્યો. મેળાવડામાં સ્વામીનારાયણ પંથના યુવક-યુવતીઓએ ગીત-નાચ દ્વારા ધર્મનો સંદેશ આપ્યો. અહીં મહંત સ્વામીએ તેમનું પ્રથમ ભાષણ ર્ક્યુ અને જંગી હાજરીમાં સ્વામીનારાયણ ભગવાનની આરતી ઉતારી તે સ્થળે ડોક્ટર સ્વામી તરીકે ઓળખાતા સ્વામીએ મહંત સ્વામીને પંથના ગુરુ જાહેર ર્ક્યા. મહંત સ્વામીએ દીક્ષા અને આરતી પછીની સ્પીચમાં સંસ્થાના તમામ સાધુઓમાં એકતા, એકમત અને પ્રેમભાવ રાખવાનો સંદેશ આપ્યો.
ઘણાને નવાઈ લાગશે કે હાલના બેપ્સના (BAPS) ગુરુ મહંત સ્વામી ગુજરાતી જાણે છે! અને બચપણ મધ્ય પ્રદેશમાં (જબલપુર) વીત્યું છતાં તેમને ધર્મના સંસ્કાર ક્યાથી મળ્યા? મહંત સ્વામીના સંસારી પિતા મણિભાઈ ધંધાર્થે જબલપુર ગયેલા એટલે વિનુભાઈ પટેલનું બચપણ-ટીનેજરની વય મધ્ય પ્રદેશમાં ગાળેલું, તેમને કોઈ સાધુ માનીને ‘ચાર ચોપડી’ ભણેલા માનશો. મહંત સ્વામી ઇગ્લીંશ મિડીયમમાં ભણેલા. 12 મા ધોરણના તે અતિ-અસાધારણ બ્રીલીયન્ટ વિદ્યાર્થી હતા. બારમા ધોરણ પછી માતા-પિતા સાથે જબલપુરથી આણંદ આવ્યા. આણંદની કૃષિ કોલેજમાં અભ્યાસ ચાલુ રાખી કૃષિ ગ્રેજ્યુએટ બન્યા. જગતના શહેરમાં સ્વામીનારાયણ પંથીઓ એક વાતને વળગી રહે છે તે વાતના ચાર સ્તંભ છે. નોલેજ, ડિવોશન, ડીટેચમેન્ટ અને રાઈચસનેસ.
અર્થાત સ્વામીનારાયણ કે કોઈ પણ હિન્દુ કે મુસ્લિમ માનવીએ તેના જીવનમાં સતત જ્ઞાન વધારવું. સમર્પણ ભાવ રાખવો, મોહથી મુક્ત રહેવું અને દરેક વ્યક્તિ સાથે ન્યાયપૂર્વ રીતે વર્તન કરવું. રાઈચસનેસ એટલે ધર્મભાવના, ન્યાય નિષ્ઠતા, નીતિ પરાયણતા અને સાદો અર્થ છે- ઈમાનદારી. ઈમાનદારીને હું પણ ખૂબ નિષ્ઠાપૂર્વક પાળું છું.